દાત મા કળતર રહેતી હોય તો આ ઔષધી ની ઉપયોગ કરો ! ભાગ્યે જ જાણતા હશો આ માહીતી
બોરસલીના દંત્ય ગુણની તો આયુર્વેદના લગભગ બધા જ ગ્રંથકારોએ પ્રસંશા કરી છે. આપણે ત્યાંગુજરાતમાં શોઢલ નામના એક વૈદ્ય થઈ ગયા. એમણે બોરસલી વિશે પોતાના ગ્રંથમાં લખ્યું છે કે, ‘બોરસલીનાં ચૂર્ણનું નિયમિત મંજન કરવાથી હલતા દાંત પણ સ્થિર બને છે. તેમજ બોરસલીનાં મૂળની છાલને ચાવવાથી ચલિત દંતપંક્તિઓ પણ અચલ બને છે.’ મર્હિષ ચક્રદત્તે દાંત હલતા હોય એમને માટે બોરસલીની છાલનો ઉકાળો મુખમાં ધારણ કરવાનું સૂચવ્યું છે. બોરસલીની છાલના બે ચમચી જેટલા ભુક્કાનો ઉકાળો કરી ઠંડો પડે એટલે મુખમાં ધારણ કરવો. ૫થી ૧૦ મિનિટ સુધી રાખી પછી મુખશુદ્ધિ કરી લેવી. આ ઉકાળો પોતાની તૂરાશથી પેઢાંને સંકુચિત કરી દાંતનાં મૂળને મજબૂત કરે છે. દાંતમાં જો દુખાવો પણ થયો હોય તો ઉકાળામાં થોડું પીપરનું ચૂર્ણ, મધ અને ઘી મેળવી પછી ધારણ કરવો.
બોરસલીનાં ફૂલો બાળકોની ખાંસીમાં ઉત્તમ પરિણામ આપે છે. ચાર-પાંચ ફૂલોને થોડાં વાટીને રાત્રે પાણીમાં પલાળી રાખવાં,સવારે ગાળીને એ પાણી બાળકને આપવું. સૂકી ખાંસીમાં તો આ ઉપચાર ખૂબ જ લાભકારી છે. બોરસલી બીજી પણ ઘણી રીતે ઉપયોગી થઈ પડે તેમ છે. મૂત્રત્યાગ વખતે જો બળતરા થતી હોય તો બોરસલીનાં ૧૦થી ૧૨ નંગ પાકાં ફળનું રોજ સવારે સેવન કરવું જોઈએ. અથવા ૨૦થી ૨૫ પાકાં ફળોના ઠળિયા કાઢીને, તેને વાટીને એક ગ્લાસ ઉકળતા પાણીમાં નાખી તરત જ વાસણ ઉતારી લેવું. ઠંડું થયા પછી આ પાણી ગાળીને પી જવું. સવાર-સાંજ આ પ્રમાણે ઉપચાર કરવાથી બે-ચાર દિવસમાં જ મૂત્રમાર્ગની બળતરા મટે છે.બોરસલી સાથે બીજાં કેટલાંક ઔષધો પ્રયોજીને ‘બકુલાદ્ય તેલ’ બનાવાય છે. વિભિન્ન તકલીફોમાં આ તેલ ઉત્તમ પરિણામ આપે છે.
બોરસલી ભારતનું એક વિશાળ સદાહરિત સુશોભન વૃક્ષ છે જે સામાન્ય રીતે તેના સુગંધી ફૂલોના કારણે બગીચાઓમાં ઉછેરવામાં આવે છે. તેનું બોટનિકલ નામ મિમુસોપ્સ ઈલેન્જી (Mimusops elengi) છે, જે સેપોટેસી (Sapotaceae) કુળની વનસ્પતિ છે. તે ઈન્ડિયન મેડલર (Indian medlar), બુલેટવુડ (Bulletwood), પેગડે ટ્રી’ઝ (Pagade tree’s), સ્પેનિશ ચેરી (Spanish cherry), વગેરે જેવા સામાન્ય નામોથી ઓળખાય છે. તેને ગુજરાતીમાં વરસડી, બકુલી, બોરસલી, બોલસરી, વરસોલી વગેરે કહે છે.
તેના વૃક્ષ 15 થી 25 ફીટ જેટલા સીધા જ વધે છે. તેના થડની છાલ બહારથી લીસી ભૂરી કે કાળાશ લેતા રંગની હોય છે. શાખાઓ ચારે બાજુ ફેલાયેલી ઘણી બધી જોવા મળે છે. તેના મુકટ ગોળાઈલેતા અને સઘન હોય છે. પર્ણ આંતરે આવેલા, ટૂંકા પર્ણદંડવાળા, લંબગોળ, છેડા પર અણીદાર, બંને સપાટીઓ લીસી, ચળકતા ઘેરા કે કાળાશ પડતા લીલા રંગના અને તરંગીત કોરવાળા હોય છે. ઉપપર્ણ નાનાં, ભાલાકાર અને તરત જ ખરી જાય છે. ફૂલો 1 થી 8 પત્રકોણમાંથી નીકળે છે, જે સફેદ રંગના અને સુગંધિત હોય છે. ફળ અંડાકાર, લીસું, ચળકતું, પાકે ત્યારે પીળા કે કેસરી રંગનું જોવા મળે છે. દરેક ફળમાંથી એક (ક્યારેક બે પણ) બીજ નીકળે છે. બીજ લંબગોળ, લીસું, ચળકતું, લાલાશ કે કાળાશ પડતા ભૂરા રંગનું હોય છે.
તે ગ્રાહિ, ચિરગુણકારી, પૌષ્ટિક અને ઉત્તેજક છે. તેના મૂળનું લાકડું ચંદનની જગ્યાએ વપરાય છે, તેમજ રસવિકારનાં સોજા પર તેનો લેપ કરાઈ છે. તેના પાન ગ્રાહિ તરીકે વપરાય છે. ફૂલોનો અર્ક શરીરની નબળાઈ દૂર કરવામાં ઉપયોગી છે. તેના ફૂલની બારીક ભૂકી સૂંઘવાથી નાસાવિરેચન થાય છે. તેના ફૂલો ખૂબ જ સુગંધિત હોવાથી વેણી બનાવવા અને કપડાંને સુગંધ આપવા વપરાય છે. તેના કાચા ફળ ચાવવાથી હાલતા દાંત મજબૂત બને છે. તેના બીજમાંથી તેલ નીકળે છે, જે ખાવામાં વાપરી શકાય છે. તેની છાલ ચામડાં રંગવામાં ઉપયોગી છે. પાકા ફળનો ગર સંગ્રહણીમાં વપરાય છે. ઘણા લોકો તેના ફળનો મુરબ્બો પણ બનાવે છે. તેનું લાકડું ખુબજ મજબૂત હોય છે.
બોરસલીના 21 પુષ્પ ભગવાન ગણેશની પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવે છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ આ ફૂલો ખૂબ પવિત્ર હોવાનું માનવામાં આવે છે. પક્ષીઓને તેના ફળ અને પતંગિયાઓને તેના ફૂલ ખુબજ મનગમતા છે.જીનુસનું નામ મિમુસોપ્સ ગ્રીક શબ્દો મીમો એટલે ‘વાનર’ અને ઓપ્સ એટલે ‘મળતું આવતું’ એવો થાય છે. મહાન સ્વીડિશ વનસ્પતિશાસ્ત્રી લિન્નયસ (1696 – 1759) એ તેના મલયાલમ નામ ઈલેન્જીને તેના વિશિષ્ટ નામ તરીકે પસંદ કર્યું. ઓક્સફર્ડ શબ્દકોષ અનુસાર, મેડર, નો અર્થ છે “(વૃક્ષ સાથે) નાના બ્રાઉન સફરજન જેવા ફળ, જ્યારે કોહવાય ત્યારે ખાવાના એવો થાય છે.” આ વૃક્ષને ખૂબ જ જાણીતું અંગ્રેજી નામ, બુલેટ વુડ આપવામાં આવ્યું હતું કારણ કે ‘બોરસલી’ આપણું સૌથી મજબૂત લાકડાવાળા વૃક્ષમાંનું એક છે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર